મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું

Jan 19, 2023 - 19:29
 12
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું

દરેક વિદ્યાર્થી, પરીક્ષાર્થી, તેના વાલી તથા શિક્ષણપ્રેમીઓ માટે  અદ્વિતીય, પથદર્શક અને દીવાદાંડીરૂપ પુસ્તક

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન દ્વારા લખાયેલું આ પુસ્તક પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી  કુબેરભાઈ ડીંડોર,  પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા, વાલીઓને સમર્પિત કર્યુ હતું. 
   

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ૧૪ મી માર્ચથી શરૂ થનાર ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (તમામ પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટે તથા તમામ રાજ્યોની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક-અધ્યાપકો અને તેમના વાલીઓને અત્યંત ઉપયોગી તેમજ પ્રકરણવાર ૧ થી ૩૪ નવા મંત્રો સાથેનું ‘એકઝામ વોરિયર્સ’ પુસ્તક વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા રસપ્રદ શૈલીમાં રચાયું છે. 
    
દરેક વિદ્યાર્થી, પરીક્ષાર્થી, તેના વાલી તથા શિક્ષણપ્રેમીઓ માટે આ પુસ્તક અદ્વિતીય, પથદર્શક અને દીવાદાંડીરૂપ છે. વડાપ્રધાન દ્વારા આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને એક ઉત્સવ તરીકે આનંદભેર ઉજવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. દરેક પ્રકરણમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓ આપવામાં આવી છે. "પરીક્ષા મહત્વની છે પરંતુ તે જીવનનો એક ભાગ માત્ર છે. જીવનમાં એ સિવાય આપણા માટે ઘણીબધી વસ્તુઓ છે" તે આ પુસ્તકનો મૂળભૂત વિચાર છે. 

આ પુસ્તક કેવળ પરીક્ષાના મહત્વ વિશે જ નહી પરંતુ જીવનના મહત્વ વિશે પણ સમજાવે છે. 

યુવા મસ્તિષ્કને વિચાર માટે ભાથું પૂરુ પાડનારા ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણમાં અપેલી સંકલ્પનાઓ યુવાનોને પોતાની રીતે પોતાના જીવનને ઘડવામાં મદદરૂપ થશે. આ સંકલ્પનાઓ પુસ્તકમાં જુદા-જુદા મંત્રો તરીકે મૂકવામાં આવી છે. 

 ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકના ૧ થી ૨૮ મંત્રો મુખ્યત્વે વિદ્યાર્થીઓ માટે છે. પરીક્ષાખંડમાં મહત્વની નાની બાબતોથી લઈને વર્ગખંડની બહાર જવા સુધી, પોતે પોતાની જ સાથે સ્પર્ધા કરવાથી લઈને પોતાને શોધવા સુધી, સમય વ્યવસ્થાથી લઈને ટેકનોલોજી સુધી, કૃતજ્ઞતાથી લઈને લક્ષ્ય નિર્ધારણ સુધી આ પુસ્તક વિવિધ વિષયોને સ્પર્શે છે, જે યુવાનોને ખુબ જ રસપ્રદ લાગશે. 

 આ પુસ્તકના ૨૯ થી ૩૪ મંત્રો માતા-પિતા માટે મહત્વના છે. પરિણામોમાં ટેકનોલોજીની ભૂમિકા, બાળકોને પ્રોત્સાહનનું મહત્વ, બાળકોને પૂર્વગ્રહ વિના પરીક્ષા માટે તૈયાર કરવા, માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવી, સકારાત્મક વાતાવરણ સ્થાપિત કરવામાં માતા-પિતાની નિર્ણાયક ભૂમિકા વગેરે વિષયો આ પુસ્તકમાં આવરી લેવામાં છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકનું અદ્યતન ગુજરાતી સંસ્કરણ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, માતા-પિતા તેમજ સમગ્ર શિક્ષણજગત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ખૂબ જ પથદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow