ગીર સોમનાથનો જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ'
ગીર સોમનાથનો જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ'
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાનાં જામવાળા નજીક આવેલો જમજીરનો ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાવ્હો છે.જોકે આ ધોધને દૂરથી જ માણવાની મજા છે. ધોધની નજીક જવામાં મોટું જોખમ રહેલું છે. તેથી જ તે મોતનો ધોધ તરીકે ઓળખાય છે. માતે તેનાં નિકટથી દર્શન કરવાં જોખમથી ભરેલાં છે.
આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો તે પુરુષ નામધારી શીંગવડો નદીના છે. આ નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્દભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારનાં મુળદ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગવડો નદી ગીર જંગલને ચીરીને ગીર બોર્ડરનાં જામવાળા ખાતે આવેલા આ નદી પરનાં ડેમ શિંગોડ માં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક ડાઉન સ્ટ્રીમમાં જમજીરનાં ધોધ સ્વરૂપે વહે છે. ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ રૂપ ધારણ કરે છે.
ભગવાન પરશુરામની તપોભૂમિ અને તેમના પિતા જમદગ્નિ ઋષિનો આશ્રમ અહીં નજીકમાં જ આવેલો છે. જમદગ્નિ ઋષિનાં નામ પરથી જ આ ધોધનું નામ જમજીરનો ધોધ પડ્યું છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પરશુરામજીનાં માતા રેણુકા અહીથી જ વસ્ત્રમાં પાણી ભરીને આશ્રમે લઈ જતા હતા.અહીથી જ રાજા સહસ્ત્ર બાહુ જમદગ્નિ ઋષિ પાસે રહેલી કામધેનુ ગાય ઝુંટવીને લઈ ગયો હતો. ભગવાન પરશુરામ જ્યારે આશ્રમે પરત ફર્યા ત્યારે વિતક જાણી સહસ્ત્ર બાહું સાથે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરી કામધેનુ ગાયને પાછી મેળવી પિતા જમદગ્નિ ઋષિનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જમજીરનાં ધોધ નજીક બારેમાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી રહે છે.ગીરી કંદરાઓને નિહાળીને આંખોને ઠંડક મળે છે તો સુરમય રીતે અફાટ જળરાશિ વહેતી હોય તેનું મધુર સંગીત અત્યંત કર્ણપ્રિય બની રહે છે. ગીર સોમનાથ જિલ્લા પ્રસાશન દ્વારા અહીં ચેતવણી પણ આપવામાં આવી છે.ધોધનાં દૂરથી દર્શન કરી શકાય છે.પરંતુ તેની ખૂબ સમીપ જવું પ્રતિબંધિત છે કારણ કે તે જોખમી છે. સતત પાણી વહેતુ હોવાને કારણે ઠેક ઠેકાણે સેવાળ બાઝી જાય છે.જો ધ્યાન ન રાખવામાં આવે તો એકજ સેકન્ડ પગ લપસી જાય અને કોઈપણ વ્યક્તિ ધોધ ની સાથે જ 100 ફૂટ ઉંડા પાણીમાં ગરકાવ થઈ શકે છે.છેલ્લા ઘણા વર્ષમાં 17 થી વઘુ યુવાનો સેલ્ફીનાં ચક્કરમાં આ ધોધમાં ડૂબી ચૂક્યાં છે. તહેવારો દરમિયાન અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે.જે પ્રવાસીઓના હિત માટે જ હોય છે.
આ ધોધનું દ્રશ્ય જેટલું મનોરમ્ય છે એટલુંજ ભયાવહ પણ છે.જમજીરનો આ ધોધ કોડીનારથી 21 કિલોમીટર, જામવાળાથી 4 કિલોમીટર દૂર આવેલો છે.અહીં આવવા માટે સોમનાથથી કોડીનાર અને ઉનાથી પણ આવી શકાય છે. જમજીરનાં ધોધ પાસે શીંગવડા નદી 30 થી 40 ફૂટ ડાઉન ફોલ થાય છે.આથી અહીં આ નદી ધોધ સ્વરૂપે વહે છે જેથી અદભૂત દ્રશ્ય ખડું થાય છે. આગામી વર્ષોમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આ વિસ્તારનો વિકાસ કરી શકે તે બાબત સરકારમાં વિચારાધીન છે.ભૂતકાળમાં અહીં ટર્બાઇન લગાવી વીજળી ઉત્તપન્ન કરવાની યોજના પણ હતી પરંતુ કોઈ કારણોસર તે શક્ય ન બન્યું.આગળ ઉપર શક્ય છે.
જમજીરનો આ ધોધ સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અહીં ઠેકઠેકાણેથી પર્યટકો કુદરતનો આ રમણિય નજારો નિહાળવા આવે છે. 30 ફૂટ ઉપરથી પડતી જળરાશીને નિહાળીને લોકો દંગ બની જાય છે. આજના મોબાઈલ યુગમાં સેલ્ફીનાં ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ખોઈ બેઠા છે. ચોમાસા દરમિયાન ધોધ સુધી પહોંચવું અતિ દુર્ગમ બની જાય છે. આ ધોધનાં સૌંદર્યનું જેટલું આકર્ષણ છે તેટલીજ તેની વિકરાળતા પણ છે. અને આ જમજીરનાં ધોધને દૂરથી માણવામા જ ડહાપણ રહેલું છે. જોકે સ્થાનિકો આ જગ્યાથી સંપૂર્ણ અવગત હોય તેમાં નાહવાનો આંનદ પણ માણે છે.ધોધની પાછળના ભાગે નદીમાં ચોમાસા સિવાય કોઈપણ વ્યક્તિ ધુબાકા મારવાનો આંનદ લઈ શકે છે.જમજીરનો આ ધોધ ગુજરાતનો શ્રેષ્ઠ ધોધ છે. તેનો આસ્વાદ માણવા એક વખત અહીં આવવું જ રહ્યું.
What's Your Reaction?