નિધિવન વૃંદાવનમાં આવેલ છે. આમ તો કૃષ્ણભક્તો માટે આ જગ્યા ખૂબ જ ખાસ છે કેમ કે આ એ જ જગ્યા છે જ્યાં બંસી બજૈયા કાન્હાએ રાસ રચ્યો હતો. જોકે આજે પણ આ જગ્યા એક રહસ્યનો કોયડો બની ગઈ છે. કહેવાય છે કે આજે પણ કૃષ્ણ રાધા સાથે અહીં રાસલીલા કરે છે. અહીં સંધ્યા થતા માણસો જ નહીં પરંતુ પશુ પંખીઓ પણ આ જગ્યાને છોડીને ચાલ્યા જાય છે. સંધ્યા સમય બાદ અહીં કોઈ જ નથી રોકાતું. જો તમે મથુરા વૃંદાવન જાવ છો તો અહીં જરુર જજો.
એવું માનવામાં આવે છે કે નિધિવનમાં આજે પણ ભગવાન કૃષ્ણ રાધા અને ગોપિઓ સાથે રાસ રચે છે અને અહીં આવેલ રંગ મહેલમાં આરામ કરે છે. તેથી જ રોજ સાંજે અહીં પૂજારી રંગ મહેલમાં એક લોટો પાણી, પાન અને ખાવાનો સામાન મુકી જાય છે. જ્યારે સવારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે અંદર રાખવામાં આવેલ બધો સામાન અસ્તવ્યસ્ત હોય છે. અહીં બેડ પર પાથરવામાં આવેલ ચાદર એ રીતે વિખરાયેલ હોય છે કે જાણે હમણા જ કોઈ વ્યક્તિ તેના પર સૂતું હતું. સ્થાનિકોના મુજબ જો કોઈપણ આ રાસલીલના જોવા માટે જેમતેમ કરીને અહીં અંદર વનમાં રહી જાય છે તો તે અર્ધપાગલ અથવા મૂંગો-બહેરો અને આંધળો થઈ જાય છે. વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
નિધિવન લગભઘ અઢી એકરમાં ફેલાયેલ છે. અહીં ઉગેલા તમામ ઝાડની ઉંચાઈ ખૂબ ઓછી રહે છે. અહીં વનમાં તમને શ્રી સ્વામી હરિદાસજીની સમાધી, રંગ મહેલ, પ્રકટ સ્થળ કે જ્યાં ભગવાન કૃષ્ણ સ્વયં આવતા હોવાનું કહેવામાં આવે છે વગેરે જોવા લાયક સ્થળ છે. અનેક પેઢીઓથી માન્યતા મુજબ આજે પણ અહીં રાતે કોઈ રહેતું નથી. ત્યાં સુધી કે નિધિવન આસપાસ બનેલા મકાનોમાં નિધિવન તરફ કોઈ બારી સુદ્ધા રાખવામાં આવતી નથી એટલે કોઈ ભૂલથી પણ એ તરફ જોઈ ન લે.નિધિવનમાં સમગ્ર વર્ષમાં તમે ગમે ત્યારે જઈ શકો છો. બસ રોજ સાંજના 7 વાગ્યાની આરતી કર્યા બાદ આ સ્થળ ખાલી થવાનું શરુ થઈ જાય છે. રાતના 8 વાગ્યા બાદ સમગ્ર વિસ્તાર વિરાન થઈ જાય છે. મંદિરના પંડિત અને પશુ-પંખીઓ પણ અહીં નથી રહેતા.