રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ આણંદમાં પ્રાકૃતિક કૃષિ અપનાવેલ ખેડૂતોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ તમામ સ્ટોલની મુલાકાત લઈ દરેક સ્ટોલ પરના ખેડુતો સાથે આત્મીયતાસભર સંવાદ કર્યો
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમ પૂર્વે આણંદ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અપનાવેલ ખેડૂતોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશો નિહાળી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના બં. અ. કૃષિ મહાવિદ્યાલય ઓડીટોરીયમના પ્રાંગણમાં પ્રદર્શન સ્ટોલ્સમાં જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ખેત પેદાશોના ૧૨ પ્રદર્શન સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ તમામ સ્ટોલની મુલાકાત લઈ દરેક સ્ટોલ પરના ખેડુતો સાથે આત્મીયતાસભર સંવાદ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ તમામ સ્ટોલ પર પ્રદર્શિત કરવામાં આવેલ ખેત ઉત્પાદનોનું જાત નિરિક્ષણ કરીને તે વિશે માહિતી મેળવી હતી. તે સાથે તેઓએ દરેક ખેડુત સાથે તે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, રાસાયણીક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં શું તફાવત જોવા મળ્યો, આવક વધારવામાં મદદરુપ થયેલ જરૂરી પરિબળો, ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને વેચાણ, એનાથી આવેલ પરિવર્તન વગેરે પર ચર્ચા કરી દરેક પ્રત્યેક ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ૧૨ પ્રદર્શન સ્ટોલમાં આણંદ જિલ્લાના દરેક તાલુકામાંથી ખેડૂતોએ ઉપસ્થિત રહી તેમની કૃષિ પેદાશો પ્રદર્શન સ્ટોલમાં પ્રદર્શિત કરી હતી. પ્રાકૃતિક ખેતીથી મેળવેલ વિવિધ પેદાશો જેવી કે કૃષ્ણકમોદ ચોખા, સુરણ, લીલી હળદર, હળદર, પપૈયા, સરગવાની સીંગો અને કાકડી, લીલી ગળો, લીલી તુવેર, કોબી-ફુલાવર, રીગણ, મરચાં, ચોખા, રાગી, શાકભાજી, મેથી અને પાલકની ભાજી, બાજરી, ચણા, મગ, કેપ્સીકમ મરચાં, ઘઉં, ટામેટા, કણકી તથા તેની બનાવટ, શકકરીયા, બાજરી, ગીર ગાય ઘી, બ્રામ્હી, ગાયના ગોબરની વિવિઘ બનાવટ, કાળા ચોખા, સરગવાનો પાવડર તથા સરગવાના પાનનો પાવડર, પ્રાકૃતિક સાબુ, પ્રાકૃતિક લિપસ્ટિક, પ્રાકૃતિક પાવડર વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
What's Your Reaction?