સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસ્થાન કરાવ્યું

૨૫ યુવા એનસીસી કેડેટ્સ ૭ દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૪૦૯ કિમીની સાયકલ રેલી કરશે

Jan 7, 2023 - 16:45
Jan 8, 2023 - 08:46
 21
સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસ્થાન કરાવ્યું
સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસ્થાન કરાવ્યું

એનસીસીની સાયકલ રેલી જ્યાંથી પસાર થશે ત્યાંના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, લોકસેવાનો ભાવ પ્રગટાવશે : શ્રી આચાર્ય દેવવ્રતજી

૨૫ યુવા એનસીસી કેડેટ્સ ૭ દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૪૦૯ કિમીની સાયકલ રેલી કરશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નેશનલ કેડેટ કોર-એન.સી.સી.ના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 'આત્મનિર્ભર ભારતની યાત્રા, સ્વાવલંબન તરફ...' ના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીની પાવન ભૂમિથી આરંભાયેલી એન.સી.સી. કેડેટ્સની આ સાયકલ રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તે પ્રદેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, અને લોકસેવાનો ભાવ પ્રગટ કરશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજે ભારત દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા છે. ભારતનો પ્રત્યેક નાગરિક એકતા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભાવથી પોતાના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરશે તો આપણે વધુ તેજ ગતિથી વિકાસ તરફ આગળ વધી શકીશું.


આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવાનું આહ્વાન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડત વખતે સ્વદેશી ચળવળ ચલાવી હતી અને નમક સત્યાગ્રહ કર્યો હતો. આ બંનેથી લોકોમાં જોશ અને ઉત્સાહ ઉમેરાયા હતા. આજે આપણી અર્થવ્યવસ્થાને વધુ સમૃદ્ધ કરવી હશે, આપણા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા હશે તો ફરી એક વખત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા સૌએ આગળ આવવું પડશે.  તો આત્મનિર્ભર ભારત માટે આપણે વ્યક્તિગત યોગદાન આપી શકીશું.


એન.સી.સી.ના યુવાનો હંમેશા અન્ય યુવાનો માટે પ્રેરણાનો સ્રોત રહ્યા છે. જે દેશના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ હોય અને રાષ્ટ્ર માટે ગૌરવની લાગણી હોય એ દેશ સમૃદ્ધ બને છે અને ઉન્નતિ તરફ આગળ વધે છે. સાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા એનસીસી કેડેટ્સને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન આપીને આ રેલી તેના ઉદ્દેશ્યમાં સફળ થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.


એનસીસીના અતિરિક્ત મહાનિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂરે સાયકલ રેલીની વિગતો આપતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવા માટે સ્વાવલંબનનો સંદેશો રાજ્યના ખૂણેખૂણા સુધી પહોંચાડવા માટે ૭મી જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન સાઇકલ રેલી યોજાશે. ૨૫ યુવા એનસીસી કેડેટ્સ ૪૦૯ કિલોમીટરની મુસાફરી કરીને દાંડીમાં નમક સત્યાગ્રહ સંગ્રહાલય ખાતે સાઇકલ રેલીનું સમાપન કરશે. અહીં સાઇકલ રેલી મોટરસાઇકલ રેલીમાં વિલય પામશે. દાંડીથી દિલ્હી સુધીની મોટરસાઇકલ રેલી દ્વારા ભારતની ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ યાત્રાનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, જેનું સમાપન ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ દિલ્હી ખાતે યોજાશે, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પણ પ્રોત્સાહક ઉપસ્થિતિ રહેશે.

આ સાયકલ રેલી પ્રસ્થાન પ્રસંગે એનસીસીના અધિકારીગણ, પ્રશિક્ષકો, કેડેટ્સ, સાબરમતી આશ્રમના કર્મચારીગણ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow