ગાંધીનગરના ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની ઓચિંતી મુલાકાત લેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા તા. ૧૬-૦૧-૨૦૨૩ના સાંજે ૦૬:૩૦ કલાકે અચાનક જ સેક્ટર-૧૫ ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. મંત્રીએ મુલાકાત દરમિયાન સ્થળ ચકાસણી કરી હતી અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન પણ લીધું હતું. કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને યોગ્ય પોષણયુક્ત ભોજન, તેમના રહેવાની વ્યવસ્થા, પુરતો અનાજનો જથ્થો જેવી તમામ બાબતોનું મંત્રીએ નીરીક્ષણ કર્યું હતું.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ્યારે શહેરમાં અભ્યાસ અર્થે જતા હોય ત્યારે ત્યાં તેમને કોઈ પણ જાતની અગવડ ન પડે તેવા ઉમદા હેતુથી ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા, જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. મંત્રીએ છાત્રાલયમાં પડતી મુશ્કેલીઓ અંગે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત છાત્રાલયમાં પિરસાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી વધુ ને વધુ પોષણક્ષમ આહાર પુરો પડાય તેવી સુચના પણ આપી હતી.
What's Your Reaction?