આયના મહેલ પેલેસ: સપનાનો મહેલ
આયના મહેલ પેલેસ: સપનાનો મહેલ
કચ્છના મ્યુઝિયમોમાંથી એક મ્યુઝિયમ છે 'આયના મહેલ’ આ આયના મહેલને શબ્દદેહ આપ્યો છે.
'આયના મહેલ’ ભુજના કયુરેટર પ્રમોદકુમાર જે. જેઠીએ ૧૯ વિભાગ સાથે વિસ્તૃત માહિતી કચ્છના વાચકો માટે પીરસી છે, જેમાં કચ્છ અને આયના મહેલનો ટૂંકો ઇતિહાસ, હીરામહેલ,ફૂવારામહેલ, દરબાર હોલ, શાહીલગ્ન મંડપ, અણમોલ કૃતિઓ, શાહી સંગીતના સાધનો, કચ્છી ચલણી સિક્કા, ભરતકામ સંગ્રહ, પર્રીયન ખરીતા, હસ્તપ્રતો વગેરે સાથે મહારાવશ્રી લખપતજીથી મહારાવશ્રી મદનસિંહજી અને રામસંગ માલમની વિગતો આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવેલી છે. સંવત ૨૦૬૮ના પ્રકાશિત આ પુસ્તકની કિંમત રૂ.૪૦ છે, જે આયના મહેલ ખાતે મળે છે.
આયના મહેલ પુસ્તકની ઉડતી મુલાકાત લઇએ અને ગમતાંનો ગુલાલ કરીએ. કચ્છનો ઉલ્લેખ પુરાણોમાં કચ્છપ તરીકે થયેલો છે. કાચબાને સંસ્કૃતમાં કચ્છપ કહેવાય છે. કચ્છની ભૂ-રચનાનો નકશો ઉધંો કરી ઝીણવટથી જોવાથી તેનો આકાર કાચબા જેવો લાગે છે. આથી કચ્છ નામ પડયું હશે કે, પછી વિષ્ણુ ભગવાનનો એક આવતાર કચ્છપ આ ભૂમિ પર થયો અને આ ભૂમિનું નામ કચ્છ પડેલું હશે. કચ્છ પ્રદેશનો ઉલ્લેખ મહાભારત અને રામાયણમાં જોવા મળે છે.
જુરાસિક સમયગાળામાં કચ્છ પ્રદેશમાં મહાકાય જંગલી પ્રાણીઓ વસતા હતા તેમજ વિપુલ પ્રમાણમાં જંગલો આવેલા હતા. જેના પુરાવારૂપે ડાયનાસોરના પદ્ચિહનો અને પાનધ્રો પાસેથી મળતો લિગ્નાઇટનો જથ્થો છે. આ ઐતિહાસિક ઘટના સાથે 'આયના મહેલ’ પુસ્તકની શરૂઆત થાય છે, બાદ સમયના મહેલનો પરિચય આપવામાં આવ્યો છે, જેમાં 'આયના’ પર્શીયન શબ્દ છે. આઇનાનો અર્થ છે આરીસો આ રાજમહેલની છત, થાંભલા આ દીવાલમાં કચ્છી બનાવટના માંડવીના દરિયાની રેતીમાંથી બનાવેલા દેશી કાચ લગાવેલા છે.
રામસંગ માલમ હોલેન્ડમાં જે વિદ્યા શિખ્યા હતા, તેનો ભરપૂર ઉપયોગ આ રાજમહેલ આયના મહેલ બનાવવામાં કરેલો છે. રામસંગ માલમની પ્રથમ કૃતિ એટલે ભુજનો આયના મહેલ ભારતમાં એ જ અરસામાં કાચના મહેલો બનેલા છે, જે શીશમહેલ તરીકે ઓળખાય છે, જયારે કચ્છનો આ મહેલ આયના મહેલ તરીકે ઓળખાય છે. આ આયના મહેલની ઇમારત ૩૦૦થી ૩પ૦ વર્ષ જૂની છે. આ ઇમાતરમાં વધુ પડતો લાકડાંનો ઉપયોગ થયેલો છે.
આ રાજમહેલ રજવાડી (શાહી) નિવાસ હતું, જેમાં મહારાવશ્રી લખપતજીએ રામસંગ માલમ પાસેથી આંતર વિભાગમાં અરીસાનું સુશોભન કરાળ્યું. આ પુસ્તકમાં આયના મહેલનો પરિચય આપવામાં આવેલો છે. અનમોલ કૃતિઓમાં ચાંદીની ચાખડી, કચ્છી ઘડિયાળ, રેત ઘડિયાળ, કાસ્ટ કલા, ગ્લાસ પેઇન્ટિંગ, હોગાર્થના ચિત્રો, લોખંડી ટોપો, હથિયારનો સંગ્રહ, ખગોળીય ગોળો, જન્મકુંડલી, નાગ પંચમીની સવારી, ૧પ૦ વર્ષ જૂનો કેમેરા વગેરેનો વિસ્તૃત વૃતાંત આપવામાં આવ્યો છે.
સંસ્કૃતિના ચાહક એવા મહારાવશ્રી મદનસિંહજીનો ખૂબ જ વંદનીય પરિચય આપવામાં આવેલો છે, તો મહારાવશ્રી ખેંગારજી ત્રીજાનો મનઠાર પરિચય મૂકવામાં આવેલો છે. આયના મહેલ પુસ્તકમાં છતરડી-ભુજ વિશે લખેલો છે, તેમાં સોળ સતીના પાળિયાનો ઉલ્લેખ કરેલો છે, જેમાં મહારાવ લખપતજીનો ઘોડેસવારી કરતો પાળિયો અને તેની ડાબી બાજુએ સાત અને જમણી બીજુએ આઠ એમ કુલ ૧૬ પાળિયાની વિસ્તૃત વાત રજૂ કરેલી છે, જેમાં સતીમાના ૧પ પાળિયાના નામો આપવામાં આવ્યા છે. આયના મહેલ ટ્રસ્ટની માહિતી મૂકવામાં આવેલી છે.
What's Your Reaction?