મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે  એક દિવસીય ‘ઇન્ટરનેશનલ વેટલેન્ડ સેમિનાર’ યોજાયો

ઇન્ટરનેશનલ વેટલેન્ડ સેમિનાર

Jan 2, 2023 - 17:42
Jan 3, 2023 - 07:56
 15
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે  એક દિવસીય ‘ઇન્ટરનેશનલ વેટલેન્ડ સેમિનાર’ યોજાયો
ઇન્ટરનેશનલ વેટલેન્ડ સેમિનાર

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના કુલ જલપ્લાવિત વિસ્તારના ૨૩ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. જેના પરિણામ સ્વરૂપે  ગુજરાતની ચાર સાઈટને રામસર-વેટલેન્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લાખો દેશી-વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે ગુજરાતના મહેમાન બને છે તે આપણી આગવી ઓળખ છે,  આ યાયાવર પક્ષીઓનું જતન સંરક્ષણ કરવાની આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.  

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, GEER ફાઉન્ડેશન વર્ષોથી જળચર પક્ષીઓ-વેટલેન્ડના વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે ત્યારે વેટલેન્ડ અંગેના આ એક દિવસીય વૈશ્વિક સેમિનાર અને નળ સરોવર ખાતે તા.૦૩ થી ૦૬ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ચાર દિવસીય વર્કશોપ આ ક્ષેત્રે વૈશ્વિક આદાન-પ્રદાન માટે મહત્વનું યોગદાન આપશે. વેટલેન્ડના વિકાસ અને જળચર પક્ષીઓના સંવર્ધન અને સુરક્ષા માટે વધુ શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે કરી શકીએ તેનો સંકલ્પ કરવા મંત્રીશ્રી બેરાએ આ પ્રસંગે સૌને અનુરોધ કરીને સેમિનારના સફળ આયોજન બદલ GEER ફાઉન્ડેશન સહિત સૌને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.

ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઇ બેરા અને રાજય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનાર યોજાયો હતો. જેમાં વેટલેન્ડ નિષ્ણાતો દ્વારા જળપ્લાવિત વિસ્તારોને લગતા વિવિધ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે તા.૩ થી ૬ જાન્યુઆરી દરમિયાન નળ સરોવર- રામસર સાઈટ ખાતે મીઠા પાણીના જીવજંતુઓ સંલગ્ન વિષય પર તાલીમ શાળા પણ યોજાશે.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની આગેવાનીમાં વેટલેન્ડ સંરક્ષણ અને જતન માટેનું અભિયાન ગુજરાતમાં તેજ ગતિએ શરૂ થયું હતું. કુદરતી અને માનવ સર્જિત વેટલેન્ડની જાળવણી અને તેનો વિકાસ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાતમાં આ માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. આ વિષય પરના સેમિનારના આયોજન ઉપરાંત આ વિષયની ઊંડી સમજ અને જનજાગૃતિ માટે રાજ્યની શાળાઓમાં બાળકો સુધી આ જનજાગૃતિ કેળવવા માટેના આયોજન કરવા ખૂબ જરૂરી છે. ત્યારે જ આ વિષય સંલગ્ન જાળવણી-સંરક્ષણ ઉપર મહત્તમ કાર્ય થઈ શકશે, એટલું જ નહીં, વેટલેન્ડના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ કરવા પણ મંત્રી શ્રી મુકેશ પટેલે આહવાન કર્યું હતું.

વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અરૂણ કુમાર સોલંકીએ કહ્યું હતું કે, જલ જીવન છે, જ્યાં જલ છે ત્યાં જ જીવન છે. ગુજરાતમાં આવતા દેશ-વિદેશના પક્ષીઓ માટે તેમના આવાસોનું યોગ્ય જતન જરૂરી છે. આ સેમિનાર અને ચાર દિવસીય વર્કશોપમાં દેશ-વિદેશના ૨૬૬ જેટલા ડેલીગેટ્સ પોતાના વિચારો-અનુભવનું આદાન-પ્રદાન કરશે જે વેટલેન્ડ ક્ષેત્ર માટે વધુ ફળરૂપી સાબિત થશે.

PCCF એન્ડ HOFF શ્રી એસ.કે.ચતુર્વેદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કુદરતી વેટલેન્ડની મુલાકાતે આવનાર યાયાવર-સ્થળાંતરિત પક્ષીઓને ખલેલ ન પહોંચે તેના માટે આપણે સૌએ સંયુક્ત રીતે વધુ પ્રયાસો કરવા પડશે. પોતાના વિસ્તારમાં આવતા કુદરતી વેટલેન્ડની સુરક્ષા તેના પ્રશ્નોનો વહીવટીતંત્ર- સ્થાનિકોની મદદથી ઉકેલવા તેમજ વેટલેન્ડ મિત્ર બનાવવા પણ તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

ગુજરાત વાઈલ્ડ લાઈફના PCCF શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વેટલેન્ડની સાઈટના વિકાસ માટે અંદાજે રૂ. ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં સમયાંતરે વધારો કરવામાં આવશે, જે ગુજરાત સરકારની વેટલેન્ડ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી વી.કે શ્રી વાસ્તવે આ પ્રસંગે કુદરતી વેટલેન્ડના સંરક્ષણ માટે વિશેષ પ્રયાસો કરવા વિવિધ સૂચનો કર્યા હતા. 
GEER ફાઉન્ડેશનના નિયામકશ્રી આર.કે. સૂગોરે સ્વાગત પ્રવચન તેમજ નાયબ નિયામકશ્રી આર.પી ગેલોતે આભાર વિધિ કરી હતી.

વન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તેમજ વન રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે GEER ફાઉન્ડેશનની કોફી ટેબલ બુક, ગુજરાતી ભાષામાં પ્રથમવાર તૈયાર કરેલી બુક ‘બર્ડ્સ ઓફ નળ સરોવર’, આ ઉપરાંત ‘ક્રેઇનર્સ ઓફ ગુજરાત’ તેમજ ‘સારસ ક્રેઇન’ દસ્તાવેજી ફિલ્મ અને ‘OIKOS’ યુટ્યુબ ચેનલ લોન્ચ કરવામાં આવી હતી. આ સિવાય મંત્રીશ્રી બેરા દ્વારા ઈ-લાયબ્રેરી@ GEER Foundationનું લોન્ચિંગ કરાયું હતું.


આ પ્રસંગે કચ્છ જિલ્લામાં કલાઈમેન્ટ ચેન્જની અસરો નિવારવા માટે કાર્યકર્તા સ્થાનિકોને રૂ. ૯ લાખ સુધીની પ્રોત્સાહક રકમ-પ્રમાણપત્ર તેમજ ઇકો વોરિયર્સ-ઇકો ગાઈડ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સનું પ્રમાણપત્ર આપી મંત્રીશ્રી એ સન્માન કર્યું હતું.  


આ પ્રસંગે ગીર ફાઉન્ડેશનની ગવર્નન્સ બોડીના સભ્ય શ્રી ધનરાજ નથવાણી, અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના ડૉ.શૈલી, વન વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપરાંત વિવિધ ૦૯ યુનિવર્સિટીઓના સંબંધિત વિષય સંલગ્ન પ્રધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ વેટલેન્ડ ક્ષેત્રે કાર્યરત ગુજરાતની સંશોધન-સ્વૈચ્છિક સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow